‘સાંભળો છો કે!’
સાંભળવાનું ગમે
થઈ બધિર!
‘તમે સાંભળો છો કે નહિ?’ ધ્રુવપંક્તિવાળું અમારા સ્થાનિક સમાજમાં પ્રચલિત એવું આ એક નિર્દોષ લગ્નગીત છે. નિર્દોષ એટલા માટે કે ફટાણા (Nasty) પ્રકારનું બીભત્સ કે અશ્લીલ એ ગીત ન હોવા ઉપરાંત અન્ય કોઈ એવું એકેય લગ્નગીત આ સમાજમાં સાંભળવા નહિ મળે કે જે લોકમર્યાદાનું ઉલ્લંઘન કરતું હોય કે કોઈ ઔચિત્યભંગ થતો હોય! ‘તમારા શેંને ફૂટ્યા કાન? તમે સાંભળો છો કે નહિ?’ આગળ વળી આવે છે ‘અમે તો કહી કહીને થાક્યાં, તમે સાંભળો છો કે નહિ?’ લગ્નપ્રસંગે વર અને કન્યાપક્ષે નિર્દોષ આનંદ લૂંટવા માટે સવાલ-જવાબ રૂપે આવાં ગીતોની રમઝટ બોલાતી હોય છે.
મારા વિદ્વાન વાચકોને મારી ઉપરોક્ત પ્રસ્તાવના કદાચ અપ્રસ્તુત લાગશે, પણ મારા મને એ સહેતુક છે; એટલા માટે કે પેલી કન્યા આ લગ્નગીતની ધ્રુવવપંક્તિને જીવનભર પદ્યમાં તો નહિ, પણ ગદ્યમાં પોતાના પતિને સંભળાવ્યે જ રાખે છે. ‘સાંભળો છો કે!’ એ ‘Three in one’ વિધાન છે. એક, નામ બોલવાના વિકલ્પે અધ્યાહાર સંબોધન; બે, પોતાની વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી તાકીદ; અને ત્રણ, કાં તો સાચે જ પતિમહાશય બધિર (બહેરા) હોય પણ ખરા!
પરંતુ, આપણા હાઈકુ-Hero તો ‘સાંભળો છો કે!’ વારંવાર સાંભળવા માટે જાણી જોઈને બહેરા થવા ઇચ્છે છે. કારણ? કાં તો પેલી બહેનડ કોકિલકંઠી હોય, કાં તો પછી તે ગળે રૂપાની ઘંટડી બાંધીને ફરતી હોય; જે હોય તે, પણ ભાઈજીને ભાર્યાનો મધુર અવાજ સાંભળવો ગમે છે. તો વળી સામા પક્ષે જીવનભર કોઈ મનોવૈજ્ઞાનિક પ્રયોગ તો કરવામાં નહિ આવી રહ્યો હોય કે પેલા ભાઈ ખરે જ માનસિક રીતે બહેરા થતા જાય કે જેથી દાંપત્યજીવનમાં તેમનું બોલવાનું ઓછું થતું જાય અને તેઓશ્રી પેલી ચતુર નારના કહ્યાગરા કંથ બની રહે!
-વલીભાઈ મુસા
વાત તો મારી
વાપરી દીધી તમે
સરખા બેઉ !
LikeLike